Surat Crime News - સુરતના કડોદરામાં પિતાએ દીકરીને 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી, ત્રણ પુત્રને મટન કાપવાના છરાના ઘા માર્યા

શુક્રવાર, 19 મે 2023 (18:06 IST)
surat crime news
Surat Crime News. સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી.

કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉ.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો જો કે, પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. રામાનુજે હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જો કે, પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા. માત્ર સુવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. જેમાં દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુજને ઝડપી પડ્યો હતો. ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર