વડોદરામાં હજારો પરિવારના અનાજ, ઘરવખરી પલળતા રૂા.1000 કરોડના નુકસાનની શક્યતાઓ

સોમવાર, 5 ઑગસ્ટ 2019 (12:37 IST)
ગુજરાતમાં એક મહાનગર વડોદરામાં ભારે વરસાદના કારણે અંદાજે રૂા.1000 કરોડથી વધુનુ નુકશાન અનેક રહેવાસીઓને ગયુ છે અને તેના કારણે વડોદરાના હજારો પરિવારો માટે મોટી મુસીબત તોળાઈ રહી છે. રાજય સરકાર પુરના ત્રણ દિવસના કુટુંબના એક સભ્યને રૂા.45 લેખે સહાય કરશે. જેની પાસે આધાર કાર્ડ હોય તેને આસહાય મળશે. ઉપરાંત જેમની ઘરવખરી તણાઈ ગઈ હોય તેને વધુમાં વધુ રૂા.2 હજાર મળશે. પરંતુ મહાનગરના અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોને અનાજ કરીયાણા, ઈલેકટ્રોનેક ઉપકરણો તથા અન્ય માલસામાનનું જંગી નુકશાન થયુ છે જેનો આંકડો રૂા.1000 કરોડથી વધુના હોવાનું અંદાજાય છે. વડોદરામાં ફલડ સામે વિમો બહુ ઓછા લોકો પાસે છે અને હવે પાણી વરસતા લોકો પોતાના સડી ગયેલા અનાજ, કઠોળ તથા ઘરના અન્ય ખાદ્ય પદાર્થો માર્ગ પર ફેકવા લાગ્યા છે. સેંકડો દુકાનોમાં અનાજ અને તેવી ખાદ્ય ચીજો પલળી ગઈ છે જે હવે વેચી શકાય તેમ નથી. રેસ્ટોરામાં પણ આવી સ્થિતિ છે. નુકશાન ધાર્યા કરતા વધુ હશે અને વડોદરાના અનેક વિસ્તારોમાં સડી ગયેલા અનાજો તથા પેકેજ ફુડના ઢગલા જોવા મળી રહ્યા છે. વડોદરામાં પુરની પરિસ્થિતિમાં થોડો ફેર પડયો છે. વિશ્ર્વામિત્રી નદી હજુ બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસના વરસાદને કારણે નદીમાં વધુ પાણી ઉમેરાઈ રહ્યું છે જેના કારણે નદી કિનારા ક્ષેત્રોમાં પાણી હટવાનું નામ લેતું નથી અને જયાં સુધી ઉપરવાસનું પાણી અટકશે નહી ત્યાં સુધી આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર