ભૂવાનગરી અમદાવાદમાં સદનસીબે એક યુવકનો જીવ બચ્યો, તંત્રની બેદરકારીને કારણે યુવક ઊંડા ભૂવામાં પડ્યો

સોમવાર, 9 ઑક્ટોબર 2023 (13:44 IST)
Due to the negligence of the system, the young man fell into deep hollowed out
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં સાંજના સમયે રસ્તામાં ભૂવો પડ્યો હતો. ભૂવાને ચારે તરફ બેરીકેટ કરવામાં આવ્યો નહોતો. તે દરમિયાન એક યુવક ત્યાંથી પસાર થતા ભૂવામાં પડ્યો હતો. યુવક ભૂવામાં પડતાની સાથે જ લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી યુવકને દોરડા અને સીડી વડે સહી સલામત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ભૂવામાં પડવાના કારણે યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી.

ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત પાસે રણછોડરાયજીનું મંદિર છે. ત્યાં મુખ્ય રોડ ઉપર ભૂવો પડ્યો હતો. ભૂવાની આસપાસ ચારે તરફ તાત્કાલિક ધોરણે બેરીકેટ લગાવવાની જરૂરિયાત હતી જેના કારણે કોઈ વ્યક્તિ કે વાહન સાથે અંદર પડે નહીં પરંતુ સાંજના સમયે જ 23 વર્ષીય યુવક ત્યાંથી પસાર થયો હતો અને તે પોતે સીધો ભૂવામાં ખાબક્યો હતો. જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જેથી ફાયર સ્ટેશનથી એક ટીમ રવાના થઈ હતી. તેઓએ દોરડા અને સીડી વડે યુવકને સહીસલામત બહાર કાઢી લીધો હતો. યુવકને માથાના અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર