NIAને આંચકો, સુપ્રીમ કોર્ટે સુધા ભારદ્વાજની જામીન સામેની અરજી ફગાવી

મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (15:19 IST)
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢનાં જાણીતા સામાજિક કાર્યકર્તા અને વકીલ સુધા ભારદ્વાજની જામીનને પડકારતી એનઆઈએની અરજીને ફગાવી દીધી છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટે 2018 ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં સુધા ભારદ્વાજને જામીન આપ્યા હતા.
 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની ખંડપીઠે બૉમ્બે હાઈકોર્ટમાંથી સુધા ભારદ્વાજને આપવામાં આવેલા ડિફોલ્ટ જામીનને રદ કરવાનો ઇનકાર કરતાં કહ્યું, "ભારદ્વાજને જામીન આપવાના હાઈકોર્ટના આદેશમાં કોઈ ગરબડ નથી."
 
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે એનઆઈએ તેની જામીનની શરતો 8 ડિસેમ્બરે નક્કી કરશે, ત્યારબાદ જ તે જેલમાંથી બહાર આવી શકશે.
 
સુધા ભારદ્વાજને ગયા અઠવાડિયે ડિફોલ્ટ જામીન મળ્યા હતા, જેનો અર્થ છે કે એનઆઈએ કાયદા દ્વારા નિર્ધારિત સમયની અંદર સુધા ભારદ્વાજ સામે આરોપનામું દાખલ ન કરી શકી એટલે તેમને કોર્ટે જામીન આપી દીધા.
 
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં 28 ઑગસ્ટ 2018ના રોજ સુધા ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી હતી.
 
તેમના પર માઓવાદીઓને મદદ કરવાનો આરોપ હતો.
 
તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં છે.
 
2018ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં, સુધા ભારદ્વાજ ઉપરાંત, વરવરા રાવ, સોમા સેન, સુધીર ધાવલે, રૉના વિલ્સન, ઍડવોકેટ સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, વરનોન ગૉન્સાલ્વિસ અને અરુણ ફરેરા દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
 
પરંતુ કોર્ટે સુધા ભારદ્વાજ સિવાયના અન્ય લોકોની જામીન ફગાવી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર