ફરી જૈન સમાજની લાગણી દુભાઈ: સુરતમાં અજાણ્યા શખસે દેરાસર નજીક પશુનું માથું ફેંક્યુ

બુધવાર, 19 જૂન 2024 (16:05 IST)
jain samaj
પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં સુરતના પાલ વિસ્તારમાં આવેલા માણીભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. જેને કારણે જૈન મુની તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે.ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
 
પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં માણીભદ્ર રેસીડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે અને અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે. આજે સવારે એક વ્યક્તિ દ્વારા રેસીડેન્સીની બહાર પશુનું માથું ફેકાયુ હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ હતી. તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના સાધુઓ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં લોકોનો ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
 
ગૌ માતા આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે
જૈન સાધુએ કહ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં. ગૌ માતા આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે. તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાઈ છે. આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ. આ ઘટના અંગે DCP રાકેશ બારોટે જણાવ્યું કે, ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો છે.જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમની DNA તપાસ કરવામાં આવશે તેમજ વેટેનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા તેમણે પણ નમૂના લીધા છે. પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર