ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડનાર આરોપી તથ્ય પટેલ જેલ હવાલે, પોલીસે વધુ રિમાન્ડ ના માંગ્યા

સોમવાર, 24 જુલાઈ 2023 (16:50 IST)
tathya patel
FSLના રીપોર્ટમાં તથ્યની કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી હોવાનો ધડાકો
 
હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે
 
શહેરમાં ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આજે પણ કોર્ટ રૂમ ખીચોખીસ ભરેલો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતિ જેલમાં રહશે. તથ્યના વકીલે તેને મળવા માટે સમય માંગ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.
 
FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત વખતે તથ્ય પટેલની કાર 160ની સ્પીડે હોવાની તે દરમિયાન વાતો થઈ હતી. તેના વકીલે એ સમયે કહ્યું હતું કે, તથ્યની કારની આટલી બધી સ્પીડ નહોતી પણ 70થી 80ની સ્પીડે દોડતી હતી. પરંતુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ખુદ તથ્યએ લોકો દ્વારા પુછવામાં આવતાં સવાલોના જવાબમાં કબૂલ્યું હતું કે તેની કારની સ્પીડ 120 કિ.મી હતી. આ દરમિયાન FSLના રીપોર્ટમાં તથ્ય અને તેના વકીલે સ્પીડને લઈને આપેલા નિવેદનમાં ધડાકો થયો છે. FSL દ્વારા હાલમાં જે રીપોર્ટ સોંપવામાં આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી.આ કેસમાં હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. તેમાં પણ કાર કેટલી સ્પીડે દોડતી હતી તે નક્કી થશે. 
 
સિંધુભવન રોડ પર થાર અથડાવાના કેસમાં ફરિયાદ નોંધાઈ
માલેતુજાર નબીરા તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર એક રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી અને દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં જે તે સમયે સમાધાન થયું હતું. આ થાર ગાડી રેસ્ટોરાંમાં ઘૂસી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આ કેસમાં પોલીસે 20 દિવસ પછી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કાર તથ્ય ચલાવતો હતો કે કોઈ અન્ય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર