25 કિલોમીટરના બાયપાસને સૈધ્ધાંતિક મંજૂરીની મ્હોર, ખેમાણા, ચડોતર, બાદરપુરા થઇ જગાણાને સાંકળતો બાયપાસ બનશે

મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:12 IST)
પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે જિલ્લા, શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા જિલ્લા કક્ષાથી મુખ્યમંત્રી રૂબરૂ મુલાકાતો થકી રજૂઆતો કરવામાં આવી હતી. જેનું સુખદ પરિણામ મળ્યું છે. જ્યાં સરકારે પાલનપુર નજીક 25 કિલોમીટરના બાયપાસને સૈધ્ધાંતિક મંજુરીની મ્હોર મારી છે. આ બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીળકી ચડોતર, બાદરપુરા થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે. જેનાથી ભારે વાહનો બારોબાર નીકળતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. બાયપાસને સૈધ્ધાંતિક મંજુરી અર્પવા બદલ જિલ્લા- શહેર ભાજપના અગ્રણીઓએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
 
પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિકના નિવારણ માટે સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લા, શહેર ભાજપ, નગરપાલિકાના ભાજપના વહિવટકર્તાઓ દ્વારા પાલનપુર ફરતે બાયપાસ બનાવવા માટે અગાઉ રૂબરૂ મુલાકાતો થકી જિલ્લા કલેકટર આનંદ પટેલ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆતો કરી હતી. જેના પગલે વહિવટીતંત્ર દ્વારા નક્કર પગલાં ભરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. 
 
આ અંગે જિલ્લા મિડીયા સેલના કન્વિનર રશ્મિકાંતભાઇ મંડોરાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પાલનપુરની મુખ્ય સમસ્યાના નિવારણ માટે તેમજ આગામી સમયમાં શહેરનો વિકાસ થાય તે માટે દુરદંશી નિર્ણય લઇ બાયપાસને સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આ બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીળકી ચડોતર, બાદરપુરા થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે. 
 
જેનાથી ભારે વાહનો બારોબાર નીકળતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. બાયપાસને સૈધ્ધાંતિક મંજુરી અર્પવા બદલ સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લા, શહેર ભાજપ, નગરપાલિકાના ભાજપના હોદ્દેદારોએ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યકત કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર