સુરતમાં નવી પરંપરાને સ્થાનઃ લગ્નમાં બે ગાય અને એક વાછરડાનો વરઘોડો કઢાશે

મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (12:24 IST)
સુરતમાં યોજાનાર એક લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગાયની હાજરી જોવા મળશે. આ ગાયની સાક્ષીમાં વર-વધૂ વેવિશાળ કરશે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં લગ્નની અન્ય વિધિ કરવાનો નિર્ધાર કરાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ભટાર રોડ પર રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિત કુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષા 3 ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાશે. રોહિત કુમાર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા સીએ છે. રામપાલ અને મદનલાલ બંને વર્ષોથી સારા મિત્રો હોવા ઉપરાંત ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે.  બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે.  આગામી ૩ ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન સમારોહ માટે બે ગાય માતા અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવશે.  લગ્નમંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવામાં આવશે.  વરરાજાના પિતા રામપાલે જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને જાણે એ હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે. ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણીગ્રહ વિધિ કરાશે. પાણીગ્રહ વિધિ વેળાએ મંડપમાં ગાય માતાની હાજરી રહેશે. લોકો લગ્નમાં ફિલ્મી ગીત વગાડતા હોય છે ત્યારે સુરતના આ લગ્નમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતો સાંભળવા મળશે. જ્યારે લગ્નમાં ચાંદલામાં મળનાર રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરાશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર