શંકરસિંહ પ્રહાર: ટ્રમ્પનો આ પ્રવાસ શોબાજી અને તાયફો, સરકાર કરી રહી છે 700 કરોડનો ખર્ચ

સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (13:04 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા જ તેમનો આ પ્રવાસ વિવાદમાં ઘેરાઈ રહ્યો છે. પ્રવાસને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કર્યા છે. તેઓએ સુરત ખાતે જણાવ્યું હતું કે, આ પ્રવાસ પર સરકાર 700 કરોડ ખર્ચ કરી રહી છે અને એ પણ ત્યારે જ્યારે ટ્રમ્પનો આ પ્રવાસ શોબાજી અને તાયફો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે અને સરકાર તેમની પાછળ ખર્ચ કરી રહી છે આ પૈસા સરકાર શાળાઓ અને હોસ્પિટલ બનાવવા માટે ખર્ચ કરવો જોઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે છે અને તેમની પાછળ થનારા ખર્ચને લઈ રાજ્યભરમાં ચર્ચા છે અને આ વચ્ચે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતેના પ્રવાસને લઇને એક નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે, ભારતીય ગુજરાતીઓનો વોટ મેળવવા આવી રહ્યા છે જેની પાછળ 700 કરોડનો ખર્ચ સરકાર કરવા જઈ રહી છે. તેઓએ સાથે આ પણ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા તો ત્યારે પણ આટલો ખર્ચ માટે કરવામાં આવ્યો હતો અને હવે જે ખર્ચ થનાર છે. તેનાથી અમેરિકા ભારત માટેની પોલીસી બદલે એમ નથી. તો શા માટે સરકાર આટલો ખર્ચ કરી રહી છે!! આ પૈસાનો ખર્ચ ગુજરાતમાં હોસ્પિટલ અને શાળાઓ બનાવવા માટે કરવામાં આવે તો વધુ સારું રહેશે.

તેઓએ ટ્રમ્પના પ્રવાસને શો બાજી અને તાયફો ગણાવ્યો છે. મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણી ઉપર નજર રાખીને શંકરસિંહ વાઘેલા દ્વારા પોતાના શક્તિ દળને એકવાર ફરી સજીવન કરવાનો પ્રયાસ સુરતમાં કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં શક્તિ દળની તાલીમ શિબીર યોજાઈ હતી. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ હાજરી આપી હતી.વાઘેલાનો વિશ્વાસ છે કે, શક્તિ દળ સરકારથી પીડાતા લોકોનો અવાજ બનીને તેમને એકજૂથ કરશે. સુરતના અમરોલી ખાતે આજે શક્તિ દળની તાલીમ શિબિરના બહાને શંકરસિંહ વાઘેલા દ્વારા શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ શક્તિદળમાં પહેલા જેટલો દમ જોવા મળ્યો ન હતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર