Russia Ukrain War- ભારતે પોતાના નાગરિકોને યુક્રેનના ખારકિવમાંથી તત્કાલ નીકળવા માટે કહ્યું

બુધવાર, 2 માર્ચ 2022 (18:57 IST)
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ખારકિએવમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે.
 
દૂવાવાસે પોતાના ટ્વીટમાં ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે ખારકિએવ તત્કાલ છોડી દે.
 
ભારતીય દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે શક્ય બને એટલા વહેલા તેઓ PESOCHIN, BBAAYE અને BEZLYUDOVKA તરફ જતા રહે. દૂતાવાસે કહ્યું છે કે ભારતીય નાગરિકો આ વિસ્તારમાં યુક્રેનના સ્થાનિક સમયાનુસાર સાંજે છ વાગ્યા સુધીમાં ગમે તે રીતે પહોંચી જાય.
 
મહત્ત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલાં જ ખારકિએવમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું. કર્ણાટકમાં રહેવાસી નવીન નજીકની દુકાનમાં ખરીદી માટે ગયા હતા. જોકે, ગોળીબારમાં એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
 
 
ભારતમાં રશિયાના નવા રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે યુક્રેનની સ્થિતિ પર ભારતનું નિષ્પક્ષ વલણ પરિસ્થિતિના આકલનના આધારે છે. તેમણે એવું પણ ઉમેર્યું કે ભારત રશિયાનાં હથિયારો પર નિર્ભર હોવાથી આવું નથી કરાયું.
 
તેમણે જણાવ્યું, "અમે ભારતના વ્યૂહાત્મક સહયોગી છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે જે સમતોલ વલણ અપનાવ્યું, એ માટે અમે ભારતના આભારી છીએ. ભારત આ સંકટની ગંભીરતા સમજે છે."
 
ડેનિસ અલીપોલે કહ્યું, "અમે ખારકિએવ અને પૂર્વ યુક્રેનના અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત કાઢવા માટે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છીએ."
 
"ભારતે રશિયાના વિસ્તારમાંથી થઈને ભારતીયનો બહાર કાઢવા માટે વિનંતી કરી છે." આવું જલદી કરાશે એવો વિશ્વાસ પણ રશિયાના રાજદૂતે અપાવ્યો છે.
 
આ પહેલાં મંગળવારે ભારતીય વિદ્યાર્થીનું યુક્રેનના ખારકિએવમાં મૃત્યુ નીપજ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કર્ણાટકના નવીનનું મૃત્યુ ગોળીબારમાં થયું હતું.
 
ભારત સરકારે યુક્રેનના પડોશી દેશો થકી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. આ માટે હવે વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે.
 
ગત દિવસોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. એ વખતે તેમણે ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
 
 
ખારકિએવ પર કબજો કરવાની લડાઈ શરૂ, રશિયન પૅરાટ્રૂપર્સ ઊતર્યા
યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે રશિયન પૅરાટ્રૂપર્સ ખારકિએવમાં ઊતર્યા છે. આ શહેરને પહેલાંથી રશિયન સેનાએ ઘેરી લીધું છે.
 
યુક્રેનિયન સેના પ્રમાણે, ખારકિએવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઍર રેડ સાયરન બાદ હવાઈ હુમલા શરૂ થયા છે.
 
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ એક સૈન્ય હૉસ્પિટલ પર હુમલો કર્યો અને લડાઈ હજુ પણ ચાલુ છે.
 
આ શહેરમાં મોટાભાગે રશિયન ભાષા બોલાય છે અને હાલના દિવસોમાં યુક્રેનમાં સૌથી વધુ હિંસા ખારકિએવમાં જ જોવા મળી છે.
 
મંગળવારે એક સરકારી ઇમારત પર મિસાઇલ હુમલો થયો હતો. જેમાં ગાડીઓ અને આસપાસની ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર