વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારની પોલ ખુલી

બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (16:00 IST)
વિધાનસભાના ટુંકા સત્ર દરમિયાન ધારાસભ્યોએ પુછેલા સવાલો માટે જે જવાબો આપ્યા તે સાંભળીને ગુજરાતની ભોળી અને વિશ્વાસુ પ્રજાને આંચકો લાગી શકે છે. કોગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ નલીયા સેક્સ કાંડની તપાસ વિશે સવાલો પુછતા  સરકારે જવાબ આપ્યો કે આ કાંડની તપાસ માટે જસ્ટીસ દવે પંચની રચના કરાઇ છે. જેની પાછળ અત્યાર સુધી 7027238 રુપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને કમિશનની બેઠક માત્ર એક વખત મળી છે તે પણ માર્ચ 19 માર્ચ 2018ના દિવસે.  આટલો ખર્ચ થવા છતાં સીધી રીતે કોઇ પરિણામ આવ્યુ નથી.  
ધાંગ્રધાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મહાત્મા મંદીરના ભાડા વસુલાતના સવાલ પુછ્યો તો સરકારની મુશ્કેલી તેમાં વધી સરકારે જવાબ આપ્યો કે ખાનગી એજન્સીઓ પાસેથી 1,53,27000ની રકમ બાકી, રે સરકારે જે કાર્યક્રમો કર્યા તેના 3,9227000ની રકમની વસુલાત બાકી છે. સવાલ એ ઉઠે છે કે જો સરકાર પોતે ભાડાની રકમ ચુકવવામા ઉદાસીન હોય તો ખાનગી એજન્સી તો બાકી રાખે એમાં નવાઈની વાત જ નથી! 
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ લોકરક્ષક પેપર લીકનો સવાલ પુછ્યો ત્યારે ગૃહ વિભાગે જવાબ આપ્યો કે આ ઘટનામા પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 16 આરોપીઓ હજુ પણ પોલીસ પકડની બહાર છે. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પુછ્યુ કે લાયસંસ ઉપર ગુજરાતમાં કેટલો દારુ વેચાયો ત્યારે સરકારે જવાબ આપ્યો કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં લાયસંસ ઉપર 501938 લીટર વિદેશી દારુ વેચાયો.  જ્યારે 31616888 લિટર બીયરનુ વેચાણ થયુ છે જે બતાવે છે કે રાજ્યમાં દારુ બંધી માત્ર દેખાડો સાબિત થઇ છે.  
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિહ જાડેજાએ પુછ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં સરકારના પ્રયાસો કેવા રહ્યાં રાજ્ય સરકારે જવાબ આપ્યો કે છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં કોઇ દરખાસ્ત કરાઇ નથી.મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર સિહના પ્રશ્નના જવાબમાં સરકારનો જવાબ વર્ષ 2017-18માં 33.057 કરોડ રાજ્યના પોલીસ અને અન્ય દળોના આધુનિકરણ માટે કેન્દ્રસરકારે સ્થાનિક સરકારે ગ્રાન્ટ આપી હતી.  જે વર્ષ 2018-19માં 27.073 કરોડ કરવામાં આવી એટલે કે દસ કરોડ ઓછી કરાઇ હોવાની વિગતો સામે આવી છે. જે કેન્દ્રનો અન્યાય હોય તેમ ગણવામા આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર