ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવારની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે હર્ષદ ગોવિંદભાઈ પરમારના નામની જાહેરાત કરી છે. ઉમરેઠના વરિષ્ઠ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. ભાજપે પિતાનો રાજકીય વારસો જાળવી રાખવા માટે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે, જેઓ ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટનો સારો અનુભવ ધરાવે છે.
- ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 6 એપ્રિલ 2026
- ફોર્મની ચકાસણી: 7 એપ્રિલ 2026
- ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 9 એપ્રિલ 2026
- મતદાનની તારીખ: 23 એપ્રિલ 2026
- મતગણતરી અને પરિણામ: 4 મે 2026
સ્વ. ગોવિંદ પરમારનું રાજકીય પ્રદાન
સ્વર્ગસ્થ ગોવિંદ પરમાર જમીન સાથે જોડાયેલા કદાવર નેતા હતા અને વર્ષ 1943માં તેમનો જન્મ થયો હતો. તેઓ શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેઓ એકવાર અપક્ષ અને બે ટર્મ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો અને તેઓ જંગી મતોથી વિજયી બન્યા હતા.
શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમાર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ખાલી પડેલી આ બેઠકને ભરવા માટે હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચના આદેશ મુજબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 6 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે, જેનાથી ઉમરેઠને નવા પ્રતિનિધિ મળશે.