ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે. એક મહિનાના ટૂંકા ગાળામાં તેમની આ બીજી મુલાકાત હોવાથી રાજ્યમાં વિકાસાત્મક અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અમદાવાદ, ગાંધીનગર, સાણંદ અને ડીસામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં અંદાજે 19,800 કરોડના રૂપિયાનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કોબા ખાતે સાંસ્કૃતિક વારસાનું લોકાર્પણ
વડાપ્રધાન તેમના પ્રવાસની શરૂઆત ગાંધીનગરના કોબા વિસ્તારથી કરશે. મહાવીર જયંતિના પવિત્ર અવસરે તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ જૈન ધર્મના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને જાળવવાનું એક વિશિષ્ટ કેન્દ્ર બનશે. અહીં પ્રાચીન અવશેષો અને દુર્લભ કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે અહિંસા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરશે.
ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને મોખરે રાખવા માટે વડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગને વેગ મળશે અને હજારો નવા રોજગારના અવસરો ઉભા થશે. આ ઉપરાંત, અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો લક્ષ્યાંક છે.
ઉત્તર ગુજરાત અને ડીસાના વિકાસ કાર્યો
બપોર બાદ વડાપ્રધાન ઉત્તર ગુજરાતના ડીસાની મુલાકાત લેશે. અહીં તેઓ કૃષિ, પશુપાલન અને માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે. ખાસ કરીને બનાસકાંઠામાં તૈયાર થયેલ પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર સ્થાનિક પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ્સથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને પરિવહનની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
વડાપ્રધાનનો આજનો શેડ્યૂલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ગુજરાત પ્રવાસ