સ્ટેચ્યુ ઓફ યુનિટીના સહેલાણીઓ માટે ખાસ એરપોર્ટની સુવિધા, જાણો ક્યાં બનશે એરપોર્ટ

શુક્રવાર, 16 નવેમ્બર 2018 (15:16 IST)
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું ગત 31મી ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ કરી દેવામાં આવશે. જેના કારણે દેશ-વિદેશના લોકોને ત્યાં આવવામાં સહેલાઈ થાય. એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. 
હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે. થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ રાજ્ય વન મંત્રી શબ્દસરણ તડવીએ આ અંગે રજૂઆત કરી હતી જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઈ હતી. હવાઈ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની સૂચના અને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપળા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરીને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું છે. પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદર, સિવિલ એવિયેશન ઓફ સ્ટેટના કેપ્ટન અજય ચૌહાણ, જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, સીટી સર્વે આધિકારી ગૌરાંગ શાહ, ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર