અરબી સમુદ્રમાં બનેલી આ લૉ-પ્રેશર એરિયાને કારણે ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સિસ્ટમ જ્યારે આગળ વધાવની શરૂઆત કરશે તે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર શરૂ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસા પહેલાં આ વિસ્તારમાં સર્જાતાં વાવાઝોડાં કઈ તરફ જશે તેના વિશે વહેલું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે.
આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં અને ગુજરાત પર આવશે?
હાલ આ સિસ્ટમ કોકણ અને ગોવાના દરિયાકાંઠા પાસે છે આગામી 36 કલાકની આસપાસ કે તેના કરતાં પહેલાં તે હજી મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. વાવાઝોડું બનતા પહેલાં આ સિસ્ટમને વધારે મજબૂત બનવું પડે તે માટે દરિયાના પાણીમાં લાંબો સમય સુધી રહેવું જરૂરી છે. જેથી તેને તાકાત મળતી રહે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના જણાવ્યા પ્રમાણે હાલના સમયમાં બનતાં તોફાનો સામાન્ય રીતે ખૂબ સ્પષ્ટ હોતાં નથી. એટલે કે તે કેટલાં મજબૂત બનશે અને કેટલા સમયમાં મજબૂત બનશે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. આ પ્રકારનાં તોફાનો ઘણી વખત કેટલાક સમય સુધી દરિયામાં જ ફર્યા કરે છે અને પછી કોઈ પણ દીશામાં જઈ શકે છે.
વાવાઝોડાં કઈ તરફ જશે તેનો આધાર ઉપરના સ્તરે ફૂંકાતા પવનો પર હોય છે. એટલે કે ઉપરના સ્તરોમાં બનતાં એન્ટિ-સાયક્લૉન વાવાઝોડાં માટે સ્ટિયરિંગ વ્હિલનું કામ કરે છે. એટલે કે આ પવનો વાવાઝોડાને દીશા આપે છે.સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે હાલ ઉપરના સ્તરે હાલ અરબી સમુદ્ર પર એક ઍન્ટિ-સાયક્લૉન અને એક રિઝ બનેલી છે. આ ઉપરાંત દીશા નક્કી કરનારા સ્ટિયરિંગ કરંટમાં અનિશ્ચિતતા દેખાઈ રહી છે. જેથી હાલ આ સિસ્ટમનો ટ્રેક નક્કી કરી શકાયો નથી.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા પર વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે