ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરીને એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ ભારતમાં હુમલા કરવા, હથિયારો અને ફંડ એકત્ર કરવા તેમજ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનું આયોજન કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ડેપ્યુટી એસપી વિરજીત સિંહ પરમારની આગેવાની હેઠળની તપાસમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સોશિયલ મીડિયા દ્વારા બન્યા 'સેલ્ફ-રેડિકલાઈઝ'
તપાસમાં ખુલાસો થયો છે કે આ યુવાનો કોઈ ચોક્કસ હેન્ડલર દ્વારા નહીં, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વયં કટ્ટરપંથી (Self-Radicalized) બન્યા હતા. તેઓ છેલ્લા સાત મહિનાથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સક્રિય હતા અને 12-13 સભ્યોના જૂથમાં "ગઝવા-એ-હિંદ" ની સ્થાપના અંગે ચર્ચાઓ કરતા હતા. આ યુવકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનમાં સક્રિય ISIS જેવી ઉગ્રવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.
શિક્ષિત યુવાન પણ દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં 22 વર્ષીય ઇરફાન ખાન પઠાણ અને 21 વર્ષીય મુર્શીદ ઝાહિદ અખ્તર શેખનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે ઇરફાન પઠાણ પાટણના સિદ્ધપુરનો રહેવાસી છે અને તેણે મહેસાણાથી એમએસસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે તથા તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે મુર્શીદ શેખ મૂળ બિહારનો છે અને મુંબઈમાં બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો.
સિદ્ધપુર અને મુંબઈથી ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી
ગુપ્ત માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈને ઇરફાનની સિદ્ધપુરથી અને મુર્શીદની મુંબઈથી ધરપકડ કરી છે. જોકે આ બંને યુવાનોનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ તેમની ગંભીર ગતિવિધિઓને ધ્યાને રાખીને ભારતીય દંડ સંહિતાની કલમ 148 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં તંત્ર આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહ્યું છે.