અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુક્યું, ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો

શનિવાર, 25 માર્ચ 2023 (17:24 IST)
ઈસ્કોન અને સોલા બ્રિજ પાસે અકસ્માતની બે ઘટનાઓમાં બેના મોત
પોલીસે આ ઘટનાઓમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
 
અમદાવાદમાં પહેલાં નદી પરના બ્રિજ આપઘાત કરવાનો પોઈન્ટ બન્યાં હતાં. ત્યાં જાળીઓ લાગી જતાં રિવરફ્રન્ટ સુસાઈડ પોઈન્ટ બન્યો હતો. હવે શહેરના બ્રિજ સુસાઈડ પોઈન્ટ બની રહ્યાં છે. તાજેતરમાં શહેરના સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી આપઘાત કરવાના બે ત્રણ બનાવો બન્યાં હતાં. ત્યારે હવે એસજી હાઈવે પર આજે એક રિક્ષા ચાલકે ઈસ્કોન બ્રિજ પરથી પડતુ મુકીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આપઘાત કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. 

 
લાંબા સમયથી ફેફસાની બિમારી હતી
એસ જી હાઈવે પરના ઈસ્કોન બ્રિજ પરથી આજે એક આધેડે પડતુ મુકીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મૃતકે લાંબા સમયથી ફેફસાની બિમારીને કારણે આપઘાત કર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મૃતકનું નામ માંગીલાલ ખટિક છે અને તેમની ઉંમર 62 વર્ષની હતી. મૃતક રિક્ષા ચાલક વેજલપુરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે તેમના આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બ્રિજ પરથી મૃતકે ચાલુ ટ્રાફિકે પડતું મુકતાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયાં હતાં. બ્રિજ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં. 
 
SG હાઈવે પર અકસ્માતની બે અલગ ઘટનામાં
એસજી હાઈવે પરના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માતની બે ઘટનાઓ બની હતી. જેમાં એક લકઝરી બસે બાઈક ચાલકને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ટુકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. તે ઉપરાંત સોલા બ્રિજ પરથી બાઈક લઈને જતાં દંપતિને ટેમ્પોની ટક્કર વાગતાં પત્નીનું મોત નિપજ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં લકઝરી અને ટેમ્પો ચાલક સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર