આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદવાળા નવસારી, ચિખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૯,૧૭૭ નાગરિકોનું સ્થળાંતર કરાયુ

ગુરુવાર, 14 જુલાઈ 2022 (19:07 IST)
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૯,૧૭૭ નાગરિકોનું સ્થળાંતર કરાયુ, એસડીઆરએફની કુલ ૨૨ પ્લાટુન અને ૧ ટીમ જ્યારે એનડીઆરએફની કુલ ૧૯ ટીમો તહેનાત
 
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા છે અને એરલિફ્ટ થકી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હજુ ચાલુ છે. 
 
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૯,૧૭૭ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ ૧૭,૩૯૪ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે ૨૧,૨૪૩ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ ૫૭૦ નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચિખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.
 
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૯ એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે ૧ ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે ૨૨ એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા ૫૭૦ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં તા.૭ જુલાઇથી અત્યાર સુધીમાં ૪૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત ૪૭૭ પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી સલામતિના કારણોસર ૧૪૮ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત ૫,૪૬૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમા ૫,૪૨૬ ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાઈ છે. 
 
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૨૭ સ્ટેટ હાઈવે, ૩૦ અન્ય માર્ગો અને ૫૫૯ પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી  પૂર્વવત થઈ જશે.
 
રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.
 
રાજ્યમાં વરસાદને પરિણામે તા.૭ જુલાઇથી અત્યાર સુધીમાં કાચા અને પાકા કુલ ૧૨૬ મકાનો સંપુર્ણ નુક્શાન પામ્યા છે અને ૧૯ ઝુંપડા સંપુર્ણ નુક્શાન પામ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય અપાશે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર