ગુજરાતમાં પૂરનાં પાણી ઓસર્યાં, હવે પાણીજન્ય રોગોની ભીતિ

સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (09:00 IST)
ગુજરાતના વડોદરા, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂર આવ્યા હતા, તો ક્યાંક અતિશય પાણી ભરાઈ ગયાં હતાં.
 
જ્યાં પૂર આવ્યા હતા ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યાં છે. પરંતુ ત્યાર બાદ હવે મેલેરિયા, ડૅન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાય તેવી સંભાવના છે.
 
ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે પૂરને કારણે જ અનેક લોકોનાં મૃત્યુ થયાં છે તથા જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે. પરંતુ લોકો સામે હવે પાણીજન્ય રોગોનો પડકાર છે.
 
સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘણી જગ્યાએ પાણી ભરાયા હોઈ શકે છે, જેથી કરીને તેમાં 8થી 10 દિવસમાં મોટા પ્રમાણમાં મચ્છરો પેદા થવાની સંભાવના છે. આથી, મચ્છરજન્ય રોગોમાં પણ ફેલાવો થઈ શકે છે.
 
અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે પણ લગભગ 40 હજાર જેટલા કર્મચારીઓને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાઓ શોધીને તેનો નિકાલ કરવાનું કામ સોંપ્યું છે. હૉસ્પિટલોને પણ આ અંગે તૈયાર અને સતર્ક રહેવા કહેવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર