ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને એક કલાક શ્રમદાન આપવા આદેશ

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (14:50 IST)
ગાંધીનગરની તમામ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ અધિકારીએ  ધો. 3 થી 8 ના તમામ શિક્ષકોએ  રોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. આ શ્રમદાન થકી શિક્ષકોએ બાળકોને ભણાવવા એક કલાક વધારે ફાળવવાનો રહેશે. આ આદેશ પ્રમાણે ગાંધીનગર જિલ્લાની 571 સરકારી અને 39 ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં શ્રમદાન કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના ઈન્ચાર્જ શિક્ષણ અધિકારી બી.એન.પ્રજાપતિએ ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં કોરોના કાળમાં બાળકોના શિક્ષણ પર થયેલી અસરના પગલે એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોએ ધો.3થી8ના તમામ વિદ્યાર્થીઓને વધુ એક કલાક ભણાવવા માટે શ્રમદાન આપવું પડશે. આ શ્રમદાન થકી પૂર્ણ ના થઈ શકેલો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. 2020થી કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન હોવાથી બાળકોના અભ્યાસ પણ સૌથી મોટી અસર થઈ હતી. જેથી બાળકો વધુ શીખે અને તેમનો અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ થાય તે માટે આ આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો પોતાનું શ્રમદાન આપે છે કે નહીં તેની તપાસ CRC કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર