હવે રાજ્યમાં દારૂ ધૂસી નહી શકે, ત્રીજી આંખની રહેશે બાજ નજર

શુક્રવાર, 19 જુલાઈ 2019 (10:14 IST)
રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય તે માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અખત્યાર કરી છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિના પરિણામે છેલ્લા બે વર્ષમાં રૂા. ૨૫૦ કરોડનો દારૂ અને રૂા. ૩૫૦ કરોડના વાહનો પણ જપ્ત કરાયો હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 
 
ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યની મધ્યપ્રદેશને જોડતી સીમઓ પર પકડાયેલ દારૂના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું  કે, સીમાવર્તી જિલ્લાઓમાં દારૂની ધુસણખોરી ન થાય તે માટે સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક, રેન્જ આઇ.જી. અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓએ મધ્યપ્રદેશને જોડતા જિલ્લા છે. ત્યાં આગળ કામ ચલાઉ અને કાયમી કુલ ૧૯ ચેક પોસ્ટો કાર્યરત છે. જેના દ્વારા સતત ચેકીંગ અને ઝુંબેશ કરવામાં આવે છે. 
 
તમામ ચેક પોસ્ટોને સી.સી.ટી.વી. થી સજજ કરી દેવાઇ છે. આ ચેકપોસ્ટોનું એસ.પી., રેન્જ આઇ.જી. અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત મોનીટરીંટ કરવામાં આવી રહ્યું છે. આ માટે ઇન્ટીગ્રેટેડની વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરીને ચાંપતી નજર રાખવાનું અમારૂ આયોજન છે.  જેના કારણે દારૂબંધીના ચુસ્ત અમલ માટે વધુ સરળતા થશે.
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, દારૂબંધીના કેસો માટે પણ ખાસ ઝુંબેશ રાજ્ય સરકાર દ્વારા વખતો-વખત હાથ ધરવામાં આવે છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી દ્વારા તેનું મોનીટરીંગ થાય છે. રાજ્યમાં કોઇપણ સ્થળેથી રૂા. ૨૦ લાખનો દારૂ પકડાશે તો તેની સામે પી.એમ.એલ.એ.ના કેસ લાગાડવામાં આવશે. દારૂનું વેચાણ – હેરાફેરી કરતા બુટલેગરો કાળા નાણાને સફેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેને નાથવા માટે પણ અમારી સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને પી.એમ.એલ.એ. હેઠળ મનીલોન્ડરીંગના કેસો પણ રાજ્યમાં નવ જેટલા કરાયા છે અને મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. 
 
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં રૂા. ૨ લાખ ૧૬ હજારનો દારૂ પકડાયો છે અને ૧૩ આરોપીની ધરપકડ કરાઇ છે. એજ રીતે દાહોદ જિલ્લામાં  રૂા. ૧૪ લાખ ૩૪ હજારનો વિદેશી દારૂ પકડાયો છે અને ૫૪ આરોપીની ધરપકડ પણ કરાઇ છે બન્ને જિલ્લામાં ૨૮ થી વધુ વાહનો પણ જપ્ત કરાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર