રાજદ્રોહના ગુનાની જામીન શરતનો ભંગ કરવા બદલ અલ્પેશ કથીરીયાના જામીન રદ કરવા સુરત પોલીસની કોર્ટમાં અરજી

મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (11:50 IST)
રાજદ્રોહના ગુનામાં સુરત સેશન્સ કોર્ટના શરતી જામીન મુક્ત થયેલા પાસના આરોપી નેતા અલ્પેશ કથીરીયાએ જામીન શરતનો ભંગ કર્યો હોઈ સુરત પોલીસે આરોપીના જામીન રદ કરવાની માંગ કરતી અરજી આજે સુરત કોર્ટમાં દાખલ કરી છે.  

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં આજથી ત્રણેક વર્ષ પહેલાં નોંધાયેલા રાજદ્રોહના ગુનાઈત કારસામાં સુરત ક્રાઈમ બ્રાંચની ચાર્જશીટમાં વોન્ટેડ દર્શાવવામાં આવેલા પાસના આરોપી નેતા અલ્પેશ કથીરીયાની મોડેથી ધરપકડ કરીને જેલભેગો કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુરત સેશન્સ કોર્ટે આરોપીએ ચાર્જશીટ રજુ થયા બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગને શરતી મંજુરી આપતો હુકમ કર્યો હતો. અલબત્ત કોર્ટે આરોપીને આ પ્રકારના ગુનામાં ફરી નહીં સંડોવાવા તથા સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પ્રવૃત્તિથી દુર રહેવાની શરતો સાથે અન્ય જામીન શરતો લાદી હતી.
પરંતુ શરતી જામીન મુક્ત આરોપી અલ્પેશ કથીરીયાએ તાજેતરમાં સરથાણા પોલીસ મથકની હદમાં ટ્રાફીક પોલીસ સાથે વાહન પાર્કીંગના મુદ્દે ઘર્ષણ કરી ફરજ પરના પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં ફરજ પરના પોલીસ અધિકારી સાથે બિભત્સ ગાળો બોલીને ગેરવર્તણુંક કરી હતી.તદુપરાંત પોલીસ લોકઅપમાં પણ એસીપી પરમારને અભદ્ર ગાળો બોલી ઈશારા કરીને પોલીસ મથકના ઘેરાવ કરનાર પાસના કાર્યકરોને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં અલ્પેશ સહિત ૧૧ આરોપી કાર્યકરોને સુરત કોર્ટ સંકુલમાં રજુ કરવા દરમિયાન પણ પાસના આરોપી કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશવા માટે પોલીસ તંત્ર સાથે જીભાજોડી કરી હતી.
જ્યારે ડાંગમાં સુરતના અમરોલી વિસ્તારની સ્કુલ બસને નડેલા અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્ત વિધાર્થીઓને વળતર આપવા માટે કલેકટર કચેરી પર ધરણાં ધરીન વિરોધ વ્યક્ત કર્યો હતો. જેથી રાજદ્રોહના ગુનામાં જામીન મુક્ત થયેલા આરોપી અલ્પેશ કથીરીયા વિરુધ્ધ એકથી વધુ ગુના નોંધાયા હોઈ જામીન શરતનો ભંગ બદલ  જામીન રદ કરવા  એપીપી ભદ્રેશ દલાલ મારફતે  સુરત પોલીસે કોર્ટમાં અરજી કરી છે.જેની સુનાવણી કોર્ટે આવતી કાલે તા.૧લી ડીસેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર