રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની ધરપકડ કરાઈ

મંગળવાર, 20 નવેમ્બર 2018 (11:33 IST)
રાજદ્રોહના કેસમાં સતત ગેરહાજર રહેવાને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પાસ નેતા દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે. પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. આ મામલે સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગત સુનાવણી દરમિયાન દિનેશ બાંભણિયા કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેની સામે બિન-જામિનપાત્ર વોરંટ ઇશ્યૂં કર્યું હતું. આજે કોર્ટમાં સુનાવણી હોવાથી ક્રાઇમ બ્રાંચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે. દિનેશ બાંભણિયાને આજે ક્રાઇમ બ્રાંચ કોર્ટમાં રજૂ કરશે. 
આજે રાજદ્રોહ કેસ મામલે પાસના નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ થઈ શકે છે. આજે તમામ આરોપીએ અમદાવાદ સેશન કોર્ટમાં હાજર રહેશે. ત્રણ વર્ષે પહેલા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલીસ દમન અંગે સોમવારે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો. 
મેટ્રો કોર્ટ નંબર 23માં આપેલા જુબાનીમાં સિનિયર પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલો લાઠીચાર્જ જલિયાંવાલા બાગથી કમ નથી. દરમિયાન મંચ પર આંદોલન કરવા આવેલી 28 વર્ષની મહિલાને સેક્ટર-1ના રાજીવ રંજને કહ્યું હતું કે, 'અનામત જોઈતી હોય તો મારી પાસે સુવા આવવું પડે'. હાર્દિકે કરેલા આ આક્ષેપો બહુ ગંભીર છે, જેની પુષ્ટિ કોર્ટની બહાર પણ હાર્દિકે કરી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર