જાપાનના પીએમની હાજરીમાં વડાપ્રધાન મોદી અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (12:16 IST)
દેશના સૌ પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો અમલ હવે ટૂંક સમયમાં થવા થઈ રહ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનું ભૂમિપૂજન ૧૪મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં કરાશે. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાન પણ ખાસ હાજર રહેશે. સમગ્ર બુલેટ ટ્રેન પાછળ ૯૮૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સરકારનાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે અમદાવાદનાં સાબરમતિ રેલવે સ્ટેશન પાસે આવેલા ગ્રાઉન્ડમાં આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. જેના માટે PM મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ૧૩મી સપ્ટેમ્બરે જ આવી જશે. આ પ્રોજેક્ટની સાથે સાથે વિવિધ અન્ય પ્રોજેક્ટોમાં રોકાણ કરવા માટેના MOU પણ બન્ને દેશો વચ્ચે થશે. ઉપરાંત ભારત-જાપાનનાં વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થશે. અમદાવાદ-મુંબઈ વચ્ચેનાં ૫૦૮ કીલોમીટરનું અંતર આ બુલેટ ટ્રેન દ્વારા માત્ર બે કલાકમાં જ કાપી શકાશે. બુલેટ ટ્રેનની ઓપરેટીંગ સ્પીડ પ્રતિ કલાક ૩૨૦ કીલોમીટરની રહેશે.આ પ્રોજેક્ટ ૨૦૨૩ના વર્ષમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે. બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટ માટે જાપાન તરફથી ભારતની ૫૧ ટકાની જંગી લોન પણ અપાશે. ગત વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાત લીધા બાદ બન્ને દેશોએ સંયુક્ત સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે ૨૦૧૭નાં વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન થશે અને ૨૦૧૮ના અંતથી બુલેટ ટ્રેનનાં કન્સ્ટ્રકશન સહિતની કામગીરી શરૃ કરાશે.ગુજરાત સરકારનાં વહીવટીતંત્ર દ્વારા PMના પ્રવાસ બુલેટ ટ્રેનનાં ભૂમિપૂજનને લઈને તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર