રાજ્યભરમાં એક મહિનામાં 34 ભૂ માફિયા સામે કેસ, 1.35 લાખ ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી

શનિવાર, 23 જાન્યુઆરી 2021 (11:23 IST)
ગુજરાતમાં જમીન પચાવી પાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રચાયેલાં પ્રિવેન્શન ઓફ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ છેલ્લાં એક માસમાં કુલ 647 ફરિયાદો નોંધાઇ હતી. તપાસ દરમિયાન કુલ 16 કિસ્સાઓમાં અનેક લોકો વિરુદ્ધ એફઆઇઆર થઈ છે. આ ફરિયાદોની તપાસ દરમિયાન કુલ 16 કિસ્સાઓમાં અનેક લોકો વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરાઇ છે. આ ઉપરાંત 49 કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા કલેક્ટરે સુઓ મોટો સંજ્ઞાન લઇને કાર્યવાહી કરી છે. 16 કેસમાં કુલ 34 લોકો કેસ થયા હતા. તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1.35 લાખ ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી. રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં આ કાયદો લાગુ થયાંને એક મહિનાના સમય ગાળામાં જ 700થી વધુ ફરિયાદો જમીન પચાવી પાડવાના કિસ્સામાં નોંધાઇ છે અને 16 કેસોમાં તો પોલિસે એફઆઇઆર પણ નોંધી છે. આ તમામ જમીનો જે માથાભારે લોકોએ પચાવી પાડી હતી તેની જંત્રી પ્રમાણેની કિંમત જ 220 કરોડ રૂપિયા થાય છે. જો કે આ ફરિયાદો કયાં લોકો વિરુદ્ધ કરવામાં આવી તે અંગેની વિગતો મહેસૂલ સચિવે ઉપલબ્ધ નહીં હોવાનું જણાવ્યું હતું. તેમણે તેમ કહ્યું હતું કે આ જેટલી પણ ફરિયાદો થઇ છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને હજુ જો તે ફરિયાદોમાં તથ્ય જણાશે તો વધુ લોકો વિરુદ્ધ પોલિસમાં એફઆઇઆર થતી રહેશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે અમારી સરકાર પારદર્શિતામાં માને છે અને ગુનેગારો સામે કડક પગલાં લઇ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા હશે તો જ લોકોને વિશ્વાસ બેસશે તેથી અમે આ કાયદો લાવ્યા છીએ. તેની જોગવાઇઓ પ્રમાણે ગુનેગાર ઠરનારને દસ વર્ષની કેદ થાય છે તેથી હવેથી આવાં માથાભારે લોકો જમીનો પચાવી પાડતા પહેલાં અનેક વાર વિચાર કરશે. ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ આ વર્ષે કુલ 150 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપી પાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એસીબીના ડાયરેક્ટર કેશવ કુમારે જણાવ્યું હતું કે બ્યુરોએ એક મહિનામાં 33 કરોડની બેનામી સંપત્તિ પકડી પાડી હતી. 2019માં 27 કરોડની બેનામી સંપત્તિ ઝડપાઈ હતી જેની સામે 2020માં 50.11 કરોડ રૂપિયાની સંપત્તિ બેનામી સંપત્તિ ઝડપાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર