પાટીદાર આંદોલન તો ઠીક પણ ગામડાઓમાં ભાજપનો ભારે વિરોધ

સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (11:55 IST)
ભાજપ ગુજરાતમાં નર્મદાના નામે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે ભલે મોદી આવીને ભાષણ કરી જાય પણ લોકોનાં માનસમાં પાણી અને પાક વિમા સહિતના મુદ્દે ભારે રોષની લાગણી છે.  એક તરફ, નર્મદા મહોત્સવની પૂરજોશમાં ઉજવણી થઇ બીજી તરફ, આ જ નર્મદારથનો ઠેર ઠેર વિરોધ થયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા રથનો વિરોધએ ભાજપ માટે ખતરાની ખંટડી સમાન છે. ભાજપના જ નેતાઓ જ કહી રહ્યાં છેકે, આ વખતે ગુજરાતમાં એન્ટીઇન્કમબન્સી ભાજપના હોઠેથી જીતનો જામ છિનવી શકે છે.વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે સરકારી કાર્યક્રમ,ખાતમુહુર્ત,સેવાસેતુ જેવા કાર્યક્રમમાં પ્રજાની પાંખી હાજરી જોવા મળી રહી છે. કાર્યક્રમમાં ખુરશીઓ ખાલીખમ રહે છે. રોડ શોમાં ય પહેલાં જેવી ભીડ ઉમડતી નથી. ચિંતાજનક વાત એછેકે, ગુજરાતમાં નર્મદારથ ગામડે ગામડે ફરી રહ્યો છે ત્યારે પાટીદારોના ગઢ સમા મહેસાણા,સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં કેટલાંય ગામડાઓમાં લોકોએ થાળી વેલણ વગાડીને રથનો જોરદાર વિરોધ કર્યો હતો. તલોદના સલાટપુરમાં તો લોકો રથની આગળ જ સુઇ ગયા હતાં. મહેસાણાના એક ગામમાં તો લોકોએ એવો વિરોધ કર્યો કે, નર્મદા રથને લઇને જ ભાગવાનો વારો આવ્યો હતો. માળિયા તાલુકાના તરઘડી અને ચમનપરમાં ગ્રામજનોએ નર્મદારથનો વિરોધ કર્યો હતો. જૂનાગઢના મહોબતપુરા અને ખેરવા ગામે પણ આવો જ વિરોધ થયો હતો. ૨૦થી વધુ ઠેકાણે નર્મદારથનો થાળી વેલણ લઇને વિરોધ થયો હતો. વડાપ્રધાનના આગમનને પગલે રોડ શોમાં પણ અમદાવાદમાં દરેક વોર્ડમાંથી લોકોને લાવવા ટાર્ગેટ અપાયો હતો. આમ છતાંયે ભાજપના કાર્યકરો,હોદ્દેદારો ધાર્યા મુજબની વસ્તી એકઠી કરી શક્યા ન હતાં. ખુદ ભાજપના હોદ્દેદારો જ કહી રહ્યાં છેકે, હવે તો લોકો ય કંટાળ્યાં છે. આમ, ભાજપને આ વખતે એન્ટીઇન્મબન્સીનો સામનો કરવો પડી શકે છે. રાજ્ય સરકાર આયોજિત કાર્યક્રમમાં લોકોની ઘટતી સંખ્યાએ ભાજપના નેતાઓની ચિંતા વધારી દીધી છે. હવે આ સ્થિતીને થાળે પાડવા ભાજપના નેતાઓ ઉકેલ શોધી રહ્યાં છે.ખુદ પ્રજાએ વિકાસ ગાંડો થયો છે તેવા સૂત્ર હેઠળ ભાજપની ટિકા કરવા માંડી છે. ભાજપ પ્રત્યેની પ્રજાની નફરતને કેવી રીતે દૂર કરવી તેનો ઉકેલ શોધવા ભાજપના નેતાઓ કામે લાગ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર