સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના નવાગામમાં માતાએ 9 માસની પુત્રીની હત્યા કરી ગળે ફાંસૉ ખાઇ લીધો ખાઇ લીધો

બુધવાર, 25 મે 2022 (15:53 IST)
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની પુત્રીની હત્યા કરી હતી. તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણીએ પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટનામાં માતા જ પુત્રીની હત્યારી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સમગ્ર ઘટનાની જાણકારી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા. જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સુતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

આ મામલે પોલીસ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી પોતાના સાસુ-સસરા, પતિ તથા દીકરી નિહારીકા સાથે સંયુક્ત પરીવારમાં રહેતા હતા. જેમાં તેઓ તેમના સાસુ સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માંગતા હોવાથી તેમના પતિને અવાર નવાર સમજાવવા છતા તેઓ માનતા નહોતા. જેમાં તેઓ અલગ રહેવાની જીદ કરતા હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દુધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો.ભાવુબેને તેમની દીકરી નિહારિકા (ઉં.વ. 09)ને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવ્યું હતું. ત્યારે આ મામલાની જાણકારી પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલિક ધોરણે નવ મહિનાની બાળકીને પોતાની માતા પાસેથી આંચકી લઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યાં બીજી બાજુ ઘરમાં એકલી માતાએ એ જ રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી મોતને ભેટતા આ મામલે પોલિસ તપાસ હાથ ધરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર