જૂનાગઢ દરગાહ કેસમાં હાઈકોર્ટે એક સાથે 32 પોલીસ કર્મીઓને હાજર થવા આદેશ કર્યો

મંગળવાર, 25 જુલાઈ 2023 (13:18 IST)
જૂનાગઢ દરગાહ કેસમાં હાઈકોર્ટે એક સાથે 32 પોલીસ કર્મીઓને હાજર થવા આદેશ કર્યો
 
હાઇકોર્ટ દ્વારા એક સાથે 32 પોલીસકર્મીઓને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારાઈ
 
Junagadh Dargah Case  - ગત જૂન મહિનામાં જૂનાગઢમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દબાણ હટાવવા મુદ્દે એક ધાર્મિક સ્થાનને નોટીસ અપાતા કેટલાક લોકોએ પોલીસ પર પત્થર મારો કર્યો હતો. ટોળાએ કરેલા હૂમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું.પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. આ ઘટના અંગેની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા એક સાથે 32 પોલીસકર્મીઓને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારીને તમામ પોલીસ કર્મચારીઓને 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી છે.
 
32 પોલીસ કર્મીઓને હાજર થવા આદેશ 
જૂનાગઢમાં 16 જૂને બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે 4 સગીરોને પણ પોલીસે જેલમાં અભદ્ર ભાષા વાપરીને માર માર્યો હતો. ત્યાર બાદ પીડિતોએ હાઈકોર્ટમાં એક અરજી કરીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે એક સાથે તમામ 32 પોલીસ કર્મીઓને હાજર થવા આદેશ કર્યો હતો. 
 
પોલીસે સગીરોને બેરહેમીથી માર માર્યો હતો
આ દરમિયાન પીડિતના વકીલે દ્વારા દલીલો કરી હતી કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને બેરહેમીથી માર માર્યો હતો. જે બાદ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા DySP, PI સહિત 32 પોલીસકર્મીને નોટિસ ફટકારી છે. કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.  હાઇકોર્ટે જૂનાગઢ પોલીસને એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર