Iskcon Bridge Accident - ઈસ્કોન દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રજુ કરી સંવેદના, પીડિતોને સહાયની જાહેરાત

ગુરુવાર, 20 જુલાઈ 2023 (13:17 IST)
અમદાવાદમાં મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.  CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવાર રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
 
બીજી બાજુ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના તમામ કાર્યકમ રદ કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અકસ્માતમાં ભોગ બનનારા લોકો સામે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ ગોઝારા અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે.
 
ગૃહ રાજ્યમંત્રી અકસ્માત સ્થળ અને સોલા સિવિલ હોસ્પિટલ પણ જશે તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્તના ખબર અંતર પૂછવા અમદાવાદ સોલા સિવિલ ખાતે જશે.
 
અત્યાર સુધીની અમદાવાદની સૌથી મોટી ઘટના 
 
શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં. મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કાર અકસ્માત જોઈ રહેલાં ટોળાં પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર