વડોદરામાં ભગવાન ગણેશની સવારી લઇ જતી વખતે પરિસ્થિતિ વણસી, બે લોકોની અટકાયત

મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (10:23 IST)
શહેરમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરાયો છે. વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં સોમવારે મોડી રાતે કોમી છમકલું સર્જાયું હતુ પરંતુ પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોને કારણે તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. તોફાની તત્ત્વોને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાણીગેટ અને માંડવી વિસ્તારોમાં સોમવારે મોડી રાત્રે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ હતી. જેને પગલે લઘુમતી કોમના ટોળાં પણ બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતાં ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને તરત જ સધન કાર્યવાહી હાથ ધરી હતી.આ વિસ્તારોમાં તંગદીલીને કારણે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. મોડી રાતે ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ સંબંધમાં બેની અટક કરીને પૂછપરછ કરાઈ રહી છે. સંબંધિત વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહી આવે.વડોદરામાં મોડી રાતે પોલીટેકનીક કોલેજની બહાર મારામારીની ઘટના પણ સામે આવી છે. જેનો એબીવીપી-એનએસયુઆઇ વચ્ચે જૂથ અથડામણનો વીડિયો પણ વહેતો થયો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ અને બીજેપીની વિદ્યાર્થી પાંખ એબીવીપી વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ પહેલા એબીવીપી સાથે જોડાયેલો વિદ્યાર્થી હવે એનએસયુઆઇમાં જોડાયો છે તે હોસ્ટેલમાં રહેતો ના હતો છતાં કેમ્પસમાં આવ્યો હતો. જેના પગલે એબીવીપીના વિદ્યાર્થીઓ તું ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો છે અને એનએસયુઆઇનો પ્રચાર કરે છે તેમ કહીને માર માર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર