રાજકોટ અગ્નિકાંડમાં ક્ષત્રિયોએ કહ્યું, હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં SITની રચના કરો

શુક્રવાર, 31 મે 2024 (18:09 IST)
Kshatriyas on fire insidents
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે ટીપ્પ્ણી કર્યા બાદ ક્ષત્રિયોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરીવાર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે. આજે ક્ષત્રિયોની સંકલન સમિતીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે SIT રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ હોવાથી SITની તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા. સંકલન સમિતિએ હાઇકોર્ટના જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. તે ઉપરાંત સરકાર પાસે મૃતકોના પરિવારજનોને વધુ સહાય ચૂકવવા પણ માંગણી કરી હતી. 
 
શ્વેત પત્ર રાજ્ય સરકારે જાહેર કરવો જોઈએ.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રદેશ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, TRP ગેમ ઝોનની દુઘટર્ના દુઃખદાયક છે. આ ઘટનામાં માત્ર ક્ષત્રિય સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ મૃત્યુ પામ્યા છે. તમામ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈ રહ્યા છીએ. મૃત્યુ પામેલા સુનિલભાઈ સિદ્ધપુરાના ઘરની હાલત ખૂબ જ ગંભીર છે. તેમના પરિવારમાં કમાનારું કોઈ નથી. આ ઉપરાંત આશાબેન કાથડના પરિવારની મુલાકાત લીધી. હવે ક્ષત્રિય સમાજના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની મુલાકાત લેશું. જે બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને આપશું અને સહાય વધારવા માટે માગ કરશું. અગાઉની ઘટનાઓમાં SITની રચના બાદ તેના આરોપીઓની શું પરિસ્થિતિ છે? તેઓ જેલમાં છે કે જામીન પર છૂટી ગયાં? તેનો શ્વેત પત્ર રાજ્ય સરકારે જાહેર કરવો જોઈએ.
 
નેતાઓ એટલા જ જવાબદાર છે જેટલાં અધિકારીઓ છે
કરણસિંહે વધુમાં કહ્યું હતું કે, આ ઘટનામાં આ વિસ્તારના કોર્પોરેટર, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સંસદ સભ્ય સુધીના જવાબદાર ગણાય. જેથી તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સહિતનાં ઘટના બાદ મોડા દેખાયા. આ પદાધિકારીઓ પણ આ ઘટનામાં એટલા જ જવાબદાર છે જેટલાં અધિકારીઓ છે. સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રદેશ પ્રમુખે તો હજી પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી. રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉ સુરતમાં તક્ષશિલા, વડોદરામાં હરણી બોટકાંડ હોય કે રાજકોટનો TRP ગેમ ઝોનકાંડ તમામમાં SITની રચના કરવામા આવી છે. પરંતુ આ SIT રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની હોય છે. જેથી ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવે તે જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર