અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી વધુની ઉંમરના 43,916 લોકો હજુ બુસ્ટર ડોઝ લેવા આવ્યા નથી

સોમવાર, 20 જૂન 2022 (11:23 IST)
અમદાવાદ જિલ્લામાં સરકાર દ્વારા ૬૦ થી વધુની ઉંમરવાળા નાગરીકોને કોરોનાની રસીનો ત્રીજો એટલેકે બુસ્ટર ડોઝ મફતમાં અપાઇ રહ્યો હોવા છતાંય હજુ સુધી ૪૩,૯૧૬ લોકો આ ડોઝ લેવા જ નથી આવ્યા ! બીજી તરફ ૧૮ થી ૫૯ વર્ષના લોકો માટે બુસ્ટર ડોઝ ખાનગી હોસ્પિટલોમાંથી પૈસા ખર્ચીને લેવાનો હોય છે તો તેમાં પણ જિલ્લામાં નોંધાયેલા ૨.૩૦ લાખ લોકોમાંથી ફક્ત ૪,૦૧૩ લોકોએ જ આ ડોઝ લીધો છે. જ્યારે બાકીનાઓએ બુસ્ટર ડોઝ લેવાનું ટાળ્યું છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સફળ રહી છે. ૧૮ થી વધુની ઉંમરવાળા માટેના પ્રથમ ડોઝની કામગીરી ૧૧૫ ટકા અને બીજા ડોઝની કામગીરી ૧૨૫ ટકા થવા પામી છે. પરંતુ બાળ રસીકરણ અને પ્રિકોશન ડોઝના મામલે લોકોએ ઉદાસીનતા સેવી છે.જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના કુલ  ૬૬,૧૧૫ બાળકોમાંથી ૨૦,૧૭૭ બાળકોએ હજુ સુધી પ્રથમ રસીનો ડોઝ લીધો નથી. જ્યારે ૨૧,૨૩૩ બાળકોએ બીજો ડોઝ લેવાનો બાકી છે. ૧૫ થી ૧૮ વર્ષની વય ધરાવતા ૧,૦૪,૨૦૪ કિશોરોમાંથી ૪૦,૭૧૬ જણાએ હજુ સુધી પ્રથમ રસીનો ડોઝ મુકાવ્યો નથી. જ્યારે ૪૧,૮૯૦ કિશોરો કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા આવ્યા નથી.અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. રોજના ૩ જેટલા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રસીકરણ જરૂરી છે જે લોકોને કોરોના સામે લડવામાં મદદરૂપ બનશે. જિલ્લામાં રવિવારે માંડલ અને સાણંદમાં મળીને કુલ ૩ કોરોનાના કેસે નોંધાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર