તાઉ’તે વાવાઝોડા સંદર્ભે અમદાવાદ જિલ્લા માટે આગામી ૬ થી ૮ કલાક મહત્વના : જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

મંગળવાર, 18 મે 2021 (15:42 IST)
અમદાવાદ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી ૬ થી ૮ કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે. જિલ્લા કલેકટરે આ સંદર્ભે નાગરિકોને બીનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. 
વાવાઝોડાની સંભવિત અસરો દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજ્જ છે. જિલ્લાના ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ,બાવળા, દસક્રોઇ અને ધોળકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત ગામોના ૪૬૫૪ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.
 
અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા કુલ ૩૨૧ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. 
 
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ૩૦૪૬ વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના ૧૧૨૩, સાણંદના ૮, વિરમગામના ૨૩૧ અને ધોળકા તાલુકાના ૧૯૨ અને દશક્રોઇ તાલુકાના ૧૦૦ લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આશ્રય સ્થાનોમાં આશ્રિત તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
 
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો અવિરત મળી રહે તે માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ આયોજનના ભાગરૂપે જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. 
 
અમદાવાદ જિલ્લા કલેક્ટરએ કહ્યું કે , ગ્રામ્ય વિસ્તારો ઘોલેરા, ધંધૂકા, બાવળા અને માંડલમાં વાવાઝોડાની અસર વર્તાઇ છે અને ૨ થી ૩ જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યા છે. જેમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરી રસ્તા પૂર્વવત કરી દેવામાં આવ્યા છે. 
 
જિલ્લા કલેકટરએ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. ની બે ટીમો અનુક્રમે ઘોલેરા અને ધંધૂકા ખાતે તહેનાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વાવાઝોડાની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નગરપાલિકા વિસ્તારમાં ફાયર બ્રીગેડની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 
 
અમદાવાદ જિલ્લાની કોવિડ હોસ્પિટલનો પુરવઠો અવિરત જળવાઇ રહે તે માટે વીજકંપનીઓને સતર્ક કરાઇ  છે. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની સંભવિત અસરોના બચાવ સ્વરૂપ અગમચેતીના ભાગરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. 
 
તાઉ’તે વાવાઝોડાના સંભવિત પરિણામો સામે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી દાખવવામાં આવી છે. તંત્ર દ્વારા વાવાઝોડાની અસરોને ખાળવા માટે લોકહિતલક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર