આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હાલ કોરોના કાબુમાં પણ સિનિયર સિટિઝન પર ધ્યાન આપવું જરૂરી

શુક્રવાર, 7 એપ્રિલ 2023 (14:51 IST)
રાજ્યમાં કોરોનાની સતર્કતાને લઈને 10 અને 11 એપ્રિલે મોકડ્રીલ યોજાશે
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે
 
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસોએ માથું ઉંચક્યું છે. છેલ્લા એકાદ મહિનાથી કેસોમાં વધારો નોંધાયો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ કોરોના કાબુમાં છે. આ માટે 10 અને 11 એપ્રિલે મોકડ્રીલ યોજાશે. રાજ્યમાં કોરોનાની સતર્કતાને લઈને વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે. તેમણે સિનિયર સિટિઝન પર ખાસ ધ્યાન આપવા સૂચનાઓ આપી છે. 
 
રાજ્યમાં કુલ 2142 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2142 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2131 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,70,909 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11057 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. 
 
દેશમા નવા કેસમાં લગભગ 13 ટકાનો વધારો થયો 
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે જાહેર કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6000 થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. અગાઉના દિવસ કરતા નવા કેસમાં લગભગ 13 ટકાનો વધારો થયો છે. દેશમાં કોરોનાના સક્રિય કેસમાં દર્દીઓની સંખ્યા વધીને 28,303 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં 195 દિવસ બાદ કોરોનાના 5,335 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 4.47 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.આ સાથે જ ગઈકાલે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે દર્દી અને કેરળ અને પંજાબમાં એક-એક દર્દીના સંક્રમણને કારણે મૃત્યુ થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,929 થયો છે. 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાને સમીક્ષા બેઠક બોલાવી 
દેશમાં વધતા કોરોનાના કેસને લઇ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા બેઠક કરશે. બપોરે 12 વાગ્યે યોજવામાં આવેલ આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારોની તૈયારીઓ પર ચર્ચા થશે. જેમાં વધતા કોરોના કેસોને લઇ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ સુવિધા અને સ્વાસ્થ્ય વસ્તુઓને લઈ પુરતો સ્ટોક છે કે નહિ. વધતા કેસો વચ્ચે કોઈને મુશ્કેલી ન પડે તે માટે રાજ્યોના આરોગ્ય વિભાગ સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર