તો શું લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં સીએમ બદલાશે. ચર્ચાઓએ જોર પકડ્યું

ગુરુવાર, 31 મે 2018 (12:51 IST)
2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રુપાણીને બદલે બીજા કોઈને સીએમ બનાવાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. હાલ ભાજપના નેતાગીરીની સંઘના નેતા વી સતિશ સાથે વાતચીત ચાલી રહી છે, જેનાથી રુપાણીને પડતા મૂકી કોઈ નવા ચહેરાને સીએમની ખુરશી પર બેસાડવાની તૈયારી શરુ થઈ ગઈ છે તેવી વાતોએ જોર પકડ્યું છે.વિજય રુપાણીનું સ્થાન કોણ લેશે તે અંગે પણ અકટળો શરુ થઈ ગઈ છે. હાલના તબક્કે યુવા પાટીદાર નેતા મનસુખ માંડવિયાનું નામ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. માંડવિયા અત્યારે મોદી સરકારમાં મંત્રી છે. રુપાણી ગુજરાતમાં ખાસ પોપ્યુલર ન હોવાથી તેમજ પર્ફોમન્સ આપવામાં પણ નિષ્ફળ રહ્યા હોવાથી તેમની વિદાય નિશ્ચિત છે તેવી ચર્ચાએ બુધવારે જોરદાર જોર પકડ્યું હતું. ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો, રુપાણી પાટીદારોનો મુદ્દો યોગ્ય રીતે હેન્ડલ નથી કરી શક્યા.  પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને પણ સીએમ બનાવા તો નવાઈ નહીં.વાઘાણી, માંડવિયા ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા પણ સીએમ પદની રેસમાં છે. માંડવિયા અને પ્રદીપસિંહ બંને પીએમ મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહના ખાસ્સા નજીક ગણાય છે. નીતિન પટેલનું નામ પણ આ રેસમાં સામેલ છે.  ભાજપના એક સૂત્રનું માનીએ તો, માંડવિયા છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે, અને તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવવા ગુજરાતના ખૂણેખૂણાની મુલાકાત લઈ રહ્યા છે. સરકારની અનેક યોજનાના ખાતમૂર્હુતથી લઈ ઉદ્ઘાટન પણ માંડવિયાના હાથે કરાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ માંડવિયાની ખાસ્સી સક્રિયતા જોવા મળી હતી.મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના પાલિતાણાના છે, અને રાજ્યસભા સાંસદ તરીકે હાલ તેમની બીજી ટર્મ ચાલુ છે. હાલ તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, કેમિકલ, શિપિંગ તેમજ રાસાયણિક ખાતર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર