ગુજરાતનો એકપણ તાલુકો વરસાદ વિહોણો નથી : સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૫૫ ટકા નોંધાયો

મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:49 IST)
ગાંધીનગર: રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ રોજબરોજ સતત માર્ગદર્શન પુરુ પાડીને મોનીટરીંગ કરીને કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હતી.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારની સતર્કતા તથા સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાનિ થઇ નથી. રાજ્યનો એકપણ તાલુકો એવો નથી કે જ્યાં વરસાદ પડ્યો ન હોય.રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૫૫ ટકા જેટલો નોંધાયો છે. 

તેમણે કહ્યું કે, વરસાદથી અસરગ્રસ્ત એવા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા અને ડાંગ જિલ્લામાંથી ૨૧૦૮૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ૩૭૩ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સારો સહયોગ સાંપડી રહ્યો છે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની કામગીરી પણ સંતોષકારક રહી છે. જેના લીધે લોકોને આપણે બચાવી શક્યા છીએ. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણી ઓછું થતા નિયમોનુસાર કેશડોલ્સની ચૂકવણી સત્વરે શરૂ કરવામાં આવશે.

 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર