અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા આવેલી યુવતીએ 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો

બુધવાર, 26 એપ્રિલ 2023 (14:59 IST)
અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલી SVP હોસ્પિટલના બારમા માળેથી 25 વર્ષીય યુવતીએ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી છેલ્લા બે મહિનાથી ગાયનેક અને કિડનીની તકલીફથી પીડાતી હતી. સરખેજની અલીના શેખ નામની યુવતી ડાયાલિસિસ કરાવવા માટે શહેરની SVP હોસ્પિટલ ખાતે આવતી હતી.

આજે સવારે અલીના ડાયાલિસિસ માટે આવી ત્યારે નણંદ પણ તેની સાથે જ હતી. તે હોસ્પિટલમાં બારમા માળે ડાયાલિસિસ કરાવવા માટે ગઈ હતી. એ દરમિયાન અલીનાએ તેની નણંદને બોટલમાં પાણી ભરવા માટે મોકલી હતી. તે પાણી લેવા જતાં મોકો જોઈ અલીનાએ હોસ્પિટલના બારમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી.

SVP હોસ્પિટલના CEO સૌરભ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડીમાં રહેતી અલીના શેખ નામની યુવતી ફેબ્રુઆરી મહિનાથી કિડની અને ગાયનેક સમસ્યાઓની સારવાર માટે SVP હોસ્પિટલના ગાયનેક વિભાગની મુલાકાતે આવતી હતી. આજે સવારે તે તેમની નણંદ સાથે હોસ્પિટલના બારમા માળે સારવાર માટે આવી હતી. ત્યારે લોબીમાં ચાલી અને તેઓ બાલ્કની તરફ ઊભાં હતાં. તેણે તેની નણંદને પાણી લેવા મોકલી હતી અને ત્યાર બાદ બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. ચોથા માળની છત પર તે પટકાઈ હતી. આ મામલે જાણ થતાં હોસ્પિટલનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને તેને ઈમર્જન્સી વિભાગમાં લઈ જવામાં આવી હતી, જોકે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આજે સવારે મેડિકલ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તે કોઈ કારણસર થોડા માનસિક તણાવમાં પણ રહેતી હતી. આજે અલીના હોસ્પિટલમાં આવી ત્યારે તેની નણંદને પાણી લેવા મોકલી હતી. તે પાણી લેવા જેવી ગઈ ત્યાં જ અલીનાએ નીચે પડતું મૂકીને પોતાની જિંદગી ટૂંકાવી નાખી હતી પોલીસને જાણ કરવામાં આવતાં એલિસબ્રિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા હાલમાં મૃતકનું પીએમ કરાવીને તેણે કયા કારણસર આપઘાત કર્યો એ અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર