ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના આજે અંતિમ દર્શન બાદ અંતિમ સંસ્કાર

મંગળવાર, 30 જુલાઈ 2019 (10:00 IST)
ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આજ રોજ જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે સવારે 7થી 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. તેમજ બપોર 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.
 
જામકંડોરણાના લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી તેમના પાર્થિવદેહના અંતિમદર્શન કરી શકાશે. ત્યારબાદ બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને અંતિમવિધિ માટે લઈ જવાશે. ત્યાંથી બપોરના 1.30 વાગ્યે વિઠ્ઠલભાઇ રાદડીયાની અંતિમયાત્રા નીકળશે. 1.30 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિઠ્ઠલભાઇ રાદડિયાની અંતિમયાત્રામાં જોડાશે. જામકંડોરણા સ્મશાનમાં વિઠ્ઠલભાઇ રાદડિયાની અંતિમવિધિ કરવામાં આવશે.
 
વિઠ્ઠલ રાદડિયાના નિધનથી સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા છે. તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહ્યા હતા. તેઓ પાંચ વખત ધારાસભ્યો રહ્યાં હતા. તેમની રાજકીય કારકિર્દી લાંબી અને ખુબજ રસપ્રદ રહી હતી. 1987માં તેઓ જામકંડોરણાના તાલુકા પંચાયત પ્રમુખપદે ચૂંટાયા બાદ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ હતી.
 
ત્યારબાદ તેઓ સતત લોક સંપર્કમાં રહી સૌરાષ્ટ્રના કદાવર નેતા બન્યા હતા. તેઓ માટે કહેવાતું કે, તેઓ લોકો સાથે જોડાયેલા નેતા હતા. પહેલા તેઓ કોંગ્રેસમાં પક્ષમાં હતા, બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનાં પ્રતિનિધિ માનવામાં આવાત હતા. 1990થી સતત તેઓ પાંચ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા.
 
વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા હતા. લેઉઆ પટેલની વોટબેંક, સહકારી પ્રવૃત્તિમાં વર્ચસ્વ, રાજકોટ જિલ્લા બેંકમાં ચેરમેન રહ્યા હતા. તેઓનું સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પર સારૂ વર્ચસ્વ હતું. સહકારિતાની સાથોસાથ શિક્ષણમાં પણ તેમનું યોગદાન હતું. જામકંડોરણામાં વિશાળ શૈક્ષણિક સંકુલ જેમાં અંદાજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરતના વિદ્યાર્થીઓ ભણે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર