અમદાવાદમાં યુવકે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી,સગીરાનું સારવાર દરમિયાન મોત

ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (14:27 IST)
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાને યુવકે અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં સગીરાને પેટમાં દુઃખાવો થતાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. ગર્ભમાં રહેલા બાળકીનું મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું. સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે રાઠોડે જણાવ્યું હતું કે, સગીરા સાથે દુષ્કર્મ બાદ તેને ગર્ભવતી બનાવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને એકબીજાને ઓળખતા હતા કે કેમ તે આરોપી સાહિલ અંગે તપાસ કરવાની બાકી છે.ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી એક ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસ કરતાં ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરા નવ મહિનાનો ગર્ભ હતો અને ડિલિવરી કરતા ગર્ભમાં જ બાળકી મરણ ગયેલી હાલતમાં જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું.જ્યારે પોતે ગર્ભવતી હોવાની જાણ થતાં સગીરાએ પોતે સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું હતું. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, અપહરણ અને પોક્સો સહિતની કલમો લગાવી ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર