રણુંજાથી પરત ફરતી 55 દર્શનાર્થીઓ ભરેલી બસ નદીમાં ખાબકી, 12 લોકો ઈજાગ્રસ્ત

શનિવાર, 3 ઑગસ્ટ 2024 (18:59 IST)
Bus carrying 55 pilgrims got stuck in river
ગુજરાતમાં હાઈવે પર પુરપાટ ઝડપે પસાર થતાં વાહનો ગંભીર અકસ્માત સર્જી રહ્યાં છે. 31મી જુલાઈએ રણુંજાથી પરત ફરતાં વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે સ્વિફ્ટ કાર ડિવાયઇડર સાથે અથડાતાં ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં. જ્યારે અન્ય બે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હવે ફરીવાર રણુંજાથી પરત ફરતી ખાનગી બસનો અંબાજી આબુ રોડ હાઇવે માર્ગ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 12 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. 
 
યાત્રાળુઓ ગુજરાત તરફ આવતા હતા ત્યારે આ બનાવ બન્યો 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી.આ બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા. જેમાં 12 મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રણુજાથી દર્શન કરીને યાત્રાળુઓ ગુજરાત તરફ આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. 
 
અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી
આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો હતો. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માત થતા રાજસ્થાન પોલીસ જવાનોની સુંદર કામગીરી જોવા મળી હતી. ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે પરત આવતા આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર