વડોદરાની SSG હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, મૃતદેહની અદલાબદલી થતાં એકની અંતિમવિધી થઈ ગઈ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (16:45 IST)
body swapping at SSG Hospital
વડોદરાની SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.  આધેડના મૃતદેહને પરિવારજનોને સોંપવાની જગ્યાએ અન્ય પરિવારને સોંપી દીધો હતો. ત્યાર બાદ મૃતદેહ લઈને ગયેલા પરિવારે આધેડને પોતાના સ્વજન સમજીને અંતિમ વિધિ પણ કરી નાખી હતી.

આખી ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો.વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા 74 વર્ષના નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુઃખાવો થતા ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી પરિજનો દ્વારા વૃદ્ધને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. નિત્યાનંદના કેટલાક સ્વજનો આવવાના હોવાથી તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા હતાં. બીજી બાજુ મકરપુરામાં રહેતા 54 વર્ષના પરિમલ ભટ્ટનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હતું પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

તેમના પરિવારજનો હોસ્પિટલ આવીને મૃતદેહ મેળવીને સ્માશાનમાં અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને અસ્થિને અસ્થિ વિસર્જનની જવાબદારી પૂરી કરતા ટ્રસ્ટને સોંપી હતી. આજે સવારે નિત્યાનંદનો પરિવાર સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહ લેવા માટે પાવતી આપી હતી. જોકે કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરતા તેમનો મૃતદેહ અંદર નહોતો. જે બાદ પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોસ્ટ મોર્ટમ વિભાગના અધિકારીઓ પણ ઘટનાને લઈને દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, મકરપુરામાં મૃત્યુ પામેલા પરિમલ ભટ્ટના પરિવારજનોને નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને પરિવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. જે બાદ ગુપ્તા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને વચ્ચેનો રસ્તો કાઢવા પરિવારને સમજાવવાનું શરૂ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર