સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટરે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા

શનિવાર, 15 એપ્રિલ 2023 (10:10 IST)
સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતના આમ આદમી પાર્ટીના છ જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા છે. આ પહેલા પાર્ટીના ચાર અને નવા છ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હી મુખ્યમંત્રી અને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું હતું અને બીજી તરફ સુરતમાં 6 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં આપમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઇ આવ્યા હતા. આ પહેલા 4 કોર્પોરેટર આપમાંથી ભાજપમાં ગયા હતા. આ સાથે અત્યારસુધીમાં કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.
 
કોર્પોરેટર ભાજપમાં જોડાતા આપના પ્રદેશ અધ્યક્ષે આક્ષેપો કર્યા
સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, અમારા કોર્પોરેટરોને 50થી 75 લાખ રૂપિયા આપીને ખરીદી લીધા છે. શિક્ષણમંત્રીના બંગલામાં આ કોર્પોરેટરો ગયા હતા અને ત્યાં જ ષડયંત્ર રચાયું હતું. અમારા ઘણા કોર્પોરેટરોને ડરાવી-ધમકાવીને લઈ ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર