Rajkot News - અમરેલી અને સાવરકૂંડલામાં સિંહણ અને દીપડાએ બે બાળકોનો શિકાર કર્યો

મંગળવાર, 9 મે 2023 (17:34 IST)
lioness and a leopard attack
વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો સિંહણને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું
 
અમરેલી જિલ્લામાં દિપડા અને સિંહને લઈને ખૌફનો માહોલ સર્જાયો છે. જંગલી જાનવરોએ બે બાળકોનો શિકાર કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એક પરિવાર હાઈવે પાસે સુઈ રહ્યો હતો. વહેલી સવારે શિકારની શોધમાં આવેલી સિંહણે અચાનક પરિવારના પાંચ મહિનાના બાળક પર તરાપ મારી હતી અને માસૂમને જંગલ તરફ ખેંચીને લઈ ગઈ હતી. બીજી ઘટનામાં સાવરકુંડલામાં આંગણામાં રમતાં ત્રણ વર્ષના બાળકને દિપડો મોંઢામાં દબોચીને લઈ ગયો હતો. આ ઘટનાઓ બાદ વનવિભાગની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને દીપડાને પાંજરે પુર્યો હતો પણ સિંહણની શોધખોળ ચાલુ છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના લીલીયા રેન્જમાં આવેલા ખારા ગુંદરણ સ્ટેટ હાઈવે નજીક એક પરિવાર સુઈ રહ્યો હતો અને વહેલી સવારે એક સિંહણ શિકારની શોધમાં આવી હતી. સિંહણે એક બકરીનો શિકાર કર્યો હતો. બકરીઓના અવાજથી આસપાસના લોકો સજાગ થઈ ગયા હતાં અને સિંહણ બકરીનું મારણ છોડીને એક પાંચ મહિનાના બાળક પર તરાપ મારીને જંગલ તરફના રસ્તે લઈને ભાગી ગઈ હતી. આ ઘટનામાં વનવિભાગને બાળકના શરીરના અવશેષો મળ્યાં હતાં. હાલમાં મૃતક બાળકના પરિવારના નિવેદન લેવાની કામગીરી શરૂ કરાઈ છે. તે ઉપરાંત મૃતકને વળતર ચૂકવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. 
 
બીજી તરફ સાવરકૂંડલાના કરજાળા ગામની નજીકમાં પરિવાર હાજર હતો અને ત્રણ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે એક દીપડો અચાનક આવ્યો અને બાળકને મોંઢામાં દબાવીને ભાગી ગયો હતો. લોકોએ બાળકને છોડાવવા માટે દોડધામ કરી નાંખી હતી પણ દીપડાએ બાળકને મોતના મુખમાં ધકેલી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગે પાંજરા મુકીને દીપડાને પાંજરે પૂર્યો હતો. દીપડાએ કરેલા હુમલામાં ભુપતનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. વનવિભાગે સિંહણને પાંજરે પુરવા માટે હાલમાં અલગ અલગ 10 ટીમો બનાવી છે ઝડપથી પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર