Ahmedabad Crime - અમદાવાદમાં બે દીકરાની માતાએ મિત્રતા કરવાનો ઈનકાર કરતાં રીક્ષા ચાલક એસિડ ફેંકી ફરાર થઈ ગયો

સોમવાર, 7 માર્ચ 2022 (15:21 IST)
અમદાવાદ શહેરના નારણપુરામાં રહેતી બે સંતાનની માતાને મિત્રતા કરવા માટે દબાણ કરીને રીક્ષા ચાલકે એસિડ એટેક કર્યો હતો. એસિડ એટેક કરી રીક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. હુમલામાં 15 ટકા જેટલી દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આઠ મહિનાથી બંને સંપર્કમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.શહેરના નારણપુરામાં 39 વર્ષીય પરિણીતા તેના બે સંતાન સાથે રહે છે. થોડા મહિના પહેલા પરિણીતા લખુડી તળાવ પાસે કેરટેકર તરીકે નોકરી કરતી હતી. નારણપુરાના લખુડી હાઉસિંગ સોસાયટીમાં શિવા ભીખાભાઈ નાયક રહે છે અને તે રીક્ષા ચલાવવાનું કામ કરે છે. તેની સાથે પરિણીતાને સંપર્ક થયો હતો. પરિણીતા નોકરી પરથી ઘરે જતી અને ઘરેથી નોકરી પર આવતા સમયે આ શિવાની રિક્ષામાં બેસતી હતી. આમ પરીચયમાં આવ્યા બાદ બન્ને એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. 
 
આ દરમિયાન શિવા નાયકે પરિણીતાને તેની સાથે મિત્રતા કરવાનું જણાવ્યું હતું. પરંતુ પરિણીતાએ મિત્રતા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ગઇ કાલે રાત્રિના સમયે મહિલા કામ અર્થે જતી હતી ત્યારે શિવા નાયકે એક્ટિવા લઈને મહિલાનો પીછો કર્યો હતો. આ સમયે પણ તે મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળેલી પરિણીતાએ શિવા નાયકને કહ્યું હતુ કે, હું પરણિત છું અને મારે બે મોટા દિકરા છે. મારે મિત્રતા કરવી નથી. બાદમાં પરિણીતા કામ પૂર્ણ કરીને તેના ઘરે જતી હતી. આ સમયે ઉશ્કેરાયેલા શિવા નાયકે પરિણીતાનો પીછો કર્યો હતો અને પરિણીતાને રોકીને એક પ્લાસ્ટિકની બોટલમાંથી એસિડ તેના પર નાખ્યું હતું.પરિણીતાને ગંભીર ઈજાઓ થવાથી બુમાબુમ કરવા લાગી હતી. એસિડ એટેક કરીને શિવા નાયક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા 108ને ફોન કરીને મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. ઘટનાની જાણ ઘાટલોડિયા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં મહિલાએ શિવા નાયકના વિરુદ્ધમાં એસિડ એટેક કર્યુ હોવાની ફરીયાદ પોલીસને કરી હતી. ઘાટલોડિયા પોલીસે જણાવ્યું હતું કે, પરિણીતાને લાંબા સમયથી આ શિવો પરેશાન કરતો હતો. તેના શોધખોળ હાથ ધરાઇ છે. પરિણીતા 15 ટકા જેટલું દાઝી ગઇ છે. શરીરના આગળના ભાગે વધુ દાઝી ગઇ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર