ગુજરાત NCCના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે CM અને શિક્ષણમંત્રીની લીધી મુલાકાત

બુધવાર, 24 માર્ચ 2021 (08:16 IST)
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક (ADG) મેજર જનરલ અરવિંદ કપૂરે 23 માર્ચ 2021ના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત લીધી હતી.
 
ADGએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ગુજરાત નિદેશાલય દ્વારા હાથ ધરવામાં આવતી NCCની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, NCC નિદેશાલય 'આત્મનિર્ભર ભારત'માં NCCની સહભાગીતા અને ગુજરાતના દરિયાકાંઠા, સરહદી વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં NCCના વિસ્તરણ સહિત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અનુસાર નક્કર કામગીરી કરશે, તેમજ સશસ્ત્ર દળોમાં વધુ સંખ્યામાં NCC કેડેટ્સ જોડાય તેવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ ગુજરાત NCC નિદેશાલયના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ગુજરાતના કેડેટ્સના ભવિષ્યનું ઘડતર કરવા માટે અને તેમને દેશના મોડેલ નાગરિકો બનાવવા માટે કરવામાં આવતા સખત પરિશ્રમની પ્રશંસા કરી હતી. તેમણે તમામ અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સને તેમના ભવિષ્યના કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર