અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરાયો

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (11:10 IST)
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ પણ ગુજરાતને મળી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય તેની તૈયારીના ભાગરૂપે આજે સવારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઉભી રહેશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે આજે ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રી માં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ છે. આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.3500 હશે. અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઉપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયુ છે.હાલ દેશમાં વારાણસી - નવી દિલ્હી અને દિલ્હી - કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ-મુંબઈનું 491 કિમીનું અંતર 6 કલાકમાં પૂરું થશે. ચેરકાર અને એક્ઝિક્યૂટિવ ચેરકાર સીટ ધરાવતી આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી સામાન્ય વધુ અને તેજસ કરતા ઓછું રહેશે. 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે. વર્ષ 2023 સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર ટ્રેન દોડાવાશે. પેસેન્જરોને ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધા અપાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર