કચ્છમાંથી સમૂહલગ્ન પતાવી કલોલ પરત આવી રહેલી કારનો અકસ્માત, વરરાજાના દાદા અને નાનાનું ઘટનાસ્થળે મોત

બુધવાર, 4 મે 2022 (19:23 IST)
માળિયા-અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે વેવાઇનાં મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કલોલનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો હતો.ગત રાત્રિના પોણાબાર વાગ્યાના સુમારે પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો. ત્યારે માલવણ હાઇવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રિના અંધારામાં પૂરઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલક વિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બેકાબૂ બનેલી કાર ડિવાઇડરને ટક્કર મારી રોડની બીજી સાઇટ આવી જતાં ગાડીનો ફુરચો બોલી ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને વેવાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર