સુરતમાં કોંગ્રેસના સત્યવિજય સંમેલનમાં ઈમાનદાર ધારાસભ્યોનું સન્માન કરાયું

મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (16:57 IST)
ભાજપની નિમ્નસ્તરે ઉતરી ગયેલી રાજનીતિનો મુદ્દો આગળ ધરીને હવે કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવા કમરકસી રહી છે. આજે સત્યવિજય સંમેલનનું ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે. જેમાં કોંગ્રેસના 43 ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે. રાજયસભાના સાંસદ અહેમદ પટેલ અને અન્ય મોટા નેતાઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો છે. કોંગ્રેસના સત્યવિજય સંમેલનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, શહેરોના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમ ઈલેકશનલક્ષી અને સંગઠનને વેગવંતુ તથા મજબુત બનાવવા માટે પણ હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યાં છે. અહેમદ પટેલની ગુજરાત રાજ્યસભાની બેઠકમાં જીત થતાં આ મામલે ભાજપને પિછેહઠ મળતા કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ પુરાયા હોય તેમ કાર્યકરો અગ્રણીઓમાં એક ઉત્સાહ જણાય રહ્યો છે. સુરત કોંગ્રેસમાં જુથવાદ અને કેટલાંક ફૂટેલી કારતૂસ જેવા લોક નેતાઓને લીધે સુરતમાં કોંગ્રેસ નબળી પુરવાર થઈ હતી. પરંતુ આટઆટલા અનુભવો છતાં તેમાંથી શીખ મેળવી નહી શકતા વિધાનસભા બેઠક હજી એક પડકાર રૂપ હોવાનું કહેવાય રહ્યું છે. કોંગ્રેસના નેતાઓમાં નવો ઉત્સાહ જણાતા આ સંમેલન કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે. અને તેમાં એકતા દાખવીને યોગ્ય ઉમેદવારની જાહેરાત કરાય તો ભાજપને હંફાવી શકે તેમ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર