હું રાજદ્રોહી ચિરાગની પત્ની છું અને મને તેનું ગર્વ છે - ગીતાબેન
મંગળવાર, 1 માર્ચ 2016 (06:23 IST)
ચિરાગ પટેલના પત્ની ગીતાબેને જણાવ્યું કે, હું રાજદ્રોહી ચિરાગની પત્ની છું અને મને તેનું ગર્વ છે. કેમકે, શહીદ ભગતસિંહને પણ રાજદ્રોહી કહેવાયા હતા. ને મારા પતિ આરએસએસના સ્વયં સેવક હતા અને આ ભાજપ સરકાર તેમના પર દેશદ્રોહીનું લેબલ લગાડી રહી છે. જે લોકો જેલમાં છે, એ લોકો એક દિવસ બહાર આવી જશે, પણ જે લોકો શહીદ થયા છે, તેમના જીવની કિંમત ભાજપે ચૂકવવી પડશે. અમારા નેતાઓને સરકાર નહીં છોડે તો અમારી અહલ્યા બાઇ અને લક્ષ્મીબાઈ બની જઉ પડશે અને 2017માં ભાજપને ઉખાડી ફેંકવું પડશે. દેશમાં દરેક ક્રાંતિની શરૂઆત ગુજરાતથી જ થઈ છે. પાટીદાર આંદલન થકી વધુ એક ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થશે. કેતન પટેલના દીકરી ખૂશ્બુએ કહ્યું હતું કે, મારો પરિવાર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મને ગર્વ છે કે, અમે પાટીદાર સમાજ માટે બલિદાન આપી રહ્યા છીએ.
મહેસાણામાં ગઈ કાલે રવિવારે યોજાયેલા પાટીદાર મહિલા સંમેલનમાં અનામત મળવા છતાં, હવે આ સરકાર તો ન જ જોઈએ એવો પ્રબળ સૂર વ્યક્ત કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા. આક્રમક ભાષણોના કારણે મહિલા સંમેલનમાં ગરમાવો આવી ગયો હતો. હાર્દિક પટેલ સહિતના યુવાનો પર લાગેલી રાજદ્રોહની કલમ બદલ ગર્વની લાગણી વ્યક્ત કરાઈ હતી.