પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સંપન્ન એક મહત્વપૂર્ણ સૈન્ય અભિયાનને સિંદૂર નામ આપ્યુ. જે ભારતીય સંસ્કૃતિમાં સુહાગ, બલિદાન અને અતૂટ સંકલ્પનુ પ્રતિક છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નામ પહેલગામ આતંકી હુમલામાં પોતાના પતિ શહીદ શુભમ દ્વિવેદીને ગુમાવનારી એશાન્યા દ્વિવેદી અને અન્ય શહીદોની પત્નીઓના દુ:ખ, સાહસ અને સમર્પણથી પ્રેરિત છે. એક સમાચાર એજન્સીને આપેલા નિવેદનમાં, ઐશ્ન્યાએ ભાવનાત્મક રીતે કહ્યું, "મારા પતિની શહાદતનો બદલો લેવામાં આવ્યો છે. ઓપરેશન 'સિંદૂર' મારા માટે એક વ્યક્તિગત સન્માન છે. આ દરેક ભારતીય મહિલાને સમર્પિત છે જેમણે આતંકવાદમાં પોતાના પતિને ગુમાવ્યા છે."
અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મળીને આખી રાત આ ઓપરેશનની દરેક ગતિવિધિ પર નજર રાખી હતી અને તે સંપૂર્ણ સફળતા સાથે પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન માત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે એક સીમાચિહ્નરૂપ નથી પણ શહીદોના પરિવારો પ્રત્યે રાષ્ટ્રની ઊંડી સંવેદના અને પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ છે.
ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ આપતા ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢનો પણ સમાવેશ થાય છે.